પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદના કાંકરિયા લેકફ્રંટ ખાતે ‘એક દીવો આશીર્વાદનો‘ કાર્યક્રમ યોજાયો. જેમાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.
મહેસાણા જિલ્લાના વાળીનાથ મંદિર (તરભ) ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં દીપ પ્રગટાવી પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી.
અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરમાં જિલ્લાકક્ષાનો ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમ યોજાયો. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. તો ભાવનગરના બોરતળાવ ખાતે કૃષિ મંત્રી જીતુઈ વાઘાણીએ શ્રી સ્થાપનાથ મહાદેવ મંદિરમાં આરતી કરી પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.
તો પંચમહાલ જિલ્લામાં રક્તદાન કેમ્પ અને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. જ્યારે જામનગરમાં શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું.
વલસાડના વાપીમાં નાણાં મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ‘‘આશીર્વાદનો દીપ’’ કાર્યક્રમમાં 15 હજારથી વધુ દિવડા પ્રગટાવાયા. તો રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ‘એક દીવો આશીર્વાદનો‘ કાર્યક્રમ યોજાયો.
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં “આશીર્વાદનો દિવડો” કાર્યક્રમ યોજાયો. તો કચ્છ જિલ્લાના વિવિધ આઈકોનિક તેમજ ધાર્મિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તાપી નદીના કિનારે 10 હજાર દિવડાઓ સાથે‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો.
તો બનાસકાંઠા અંબાજીના ચાચર ચોકમાં પ્રધાનમંત્રીના જન્મદિને ભવ્ય મહાઆરતી યોજાઈ. ભરૂચમાં પણ નર્મદા નદી કિનારે દીપોત્સવથી ઉજવણી કરાઇ. તો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલામાં લક્ષ્ય સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ ખાતે શ્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ. જ્યારે મહેસાણાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે 12 હજાર 500 દીવડાઓના ઝગમગાટ સાથે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ સંપન્ન.