કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બ્રિક્સના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય રમતગમત દિવસના વિશેષ સંસ્કરણ તરીકે ઉજવાયો હતો.
આ પ્રસંગે ડૉ. માંડવિયાએ યુવાનોને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે યુવાનોને દરરોજ ઓછામાં ઓછો એક કલાક રમતગમત અને શારીરિક કસરત માટે ફાળવવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા પહેલ માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશના યુવાનોને વધુ સશક્ત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફિટ અને સ્વસ્થ નાગરિકો દ્વારા ભારત વધુ મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધશે.