સપ્ટેમ્બર 4, 2026 10:37 એ એમ (AM)

printer

જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી

ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. મંદિરો અને ઘરોને શણગારવામાં આવ્યા છે. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં, મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મથુરામાં જન્માષ્ટમી ઉજવણીમાં હાજરી આપશે. ભક્તોની મોટી ભીડને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણનું જીવન અને ઉપદેશો ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને નવી દિશા આપે છે.

 લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે ભગવદ ગીતા જીવનમાં ફરજ, નૈતિકતા, ન્યાય, હિંમત અને સંતુલનનો માર્ગ બતાવે છે.

સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવારની  ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ વિખ્યાત દ્વારકાના જગત મંદિર, ડાકોર અને શામળાજી મંદિરો સહિત મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભવ્ય ઉજવણી અને વિશેષ ધાર્મિક વિધિઓ ચાલી રહી છે.