રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આજે ચીનની બે દિવસની મુલાકાતે બેઇજિંગ પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન, શ્રી ડોભાલ તેમના ચીની સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે આવતીકાલે સરહદ મુદ્દા પર બંને દેશો વચ્ચેના ખાસ પ્રતિનિધિઓની વાટાઘાટોના 25મા રાઉન્ડમાં ભાગ લેશે.
આજે પત્રકાર પરિષદમાં ખાસ પ્રતિનિધિઓની વાટાઘાટોની જાહેરાત કરતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું હતું કે, શ્રી ડોભાલ અને શ્રી વાંગ સરહદ મુદ્દા તેમજ અન્ય દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ અને પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી ચાલેલા લશ્કરી ગતિરોધ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. પરંતુ ત્યારથી બંને પક્ષોએ સંબંધોને સ્થિર કરવા માટે પગલાં લીધાં છે.