ગુજરાત રાજ્યમાં આજથી શિશુ સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવા માટે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિશુઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મહત્વ અંગે જનમાનસમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાનના ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
દર વર્ષે સ્તનપાન સપ્તાહની ઉજવણી એક ચોક્કસ થીમ પર કરવામાં આવે છે. આ વર્ષના અભિયાન માટે ખાસ જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન: અસરકારક અને સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ” વિષયવસ્તુ નક્કી કરવામાં આવી છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને જન્મથી જ પૂરતું અને યોગ્ય પોષણ પૂરું પાડીને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસને મજબૂત બનાવવાનો છે.
આ રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી ઉજવણી અંગે વધુ માહિતી આપતા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પર વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે અને તે શિશુની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તેથી આ અંગે છેવાડાના વિસ્તારો સુધી સાચી માહિતી પહોંચાડવી અત્યંત જરૂરી છે.
મંત્રી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આ સપ્તાહ દરમિયાન ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તમામ આંગણવાડીઓ પર સેમિનાર, વર્કશોપ અને જાગૃતિ રેલીઓનું આયોજન કરાશે. ખાસ કરીને મહિલાઓને સીધું અને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે ‘પોષણ પંચાયત’ અને સગર્ભા તથા ધાત્રી માતાઓ સાથે ‘સુપોષણ સંવાદ’ જેવા પ્રત્યક્ષ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોના માધ્યમથી આરોગ્ય કાર્યકરો દ્વારા માતાઓને સ્તનપાનની સાચી પદ્ધતિઓ અને તેનાથી માતા અને બાળકને થતા સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ અંગે જાગૃત કરવામાં આવશે.