સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે તમામ નાગરિકોને 3 મહિનાનું મફત રિચાર્જ આપવાનો દાવો કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે આ દાવાને સંપૂર્ણપણે ભ્રામક અને ખોટો ગણાવીને તેનું ખંડન કર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે આ ડીપફેક વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલો છે.
PIB ફેક્ટ ચેક યુનિટનો ખુલાસો: વીડિયો AI જનરેટેડ
છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક વીડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો હતો. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ નાગરિકો માટે 3 મહિનાના ફ્રી રિચાર્જની જાહેરાત કરવામાં આવી છે. આ ગેરમાર્ગે દોરતા વીડિયો અંગે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ દાવો તદ્દન ખોટો અને પાયાવિહોણો છે. વાયરલ થઈ રહેલો વીડિયો વાસ્તવિક નથી, પરંતુ આધુનિક AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખોટી રીતે જનરેટ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન દ્વારા આવી કોઈ યોજનાને સમર્થન નહીં
સરકાર દ્વારા વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈપણ રોકાણ યોજના કે ફ્રી રિચાર્જ સ્કીમને સમર્થન આપવામાં આવ્યું નથી. અસામાજિક તત્વો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા અને સંભવિત રીતે ઓનલાઈન છેતરપિંડીના હેતુથી આવા ફેક વીડિયો વાયરલ કરવામાં આવતા હોય છે. તંત્રએ નાગરિકોને આવા કોઈપણ ભ્રામક દાવાઓ, અફવાઓ કે અજાણી લિંક્સ પર વિશ્વાસ ન કરવા માટે સાવચેત કર્યા છે.
સાચી માહિતી માટે અધિકૃત સરકારી પોર્ટલનો ઉપયોગ કરવા અપીલ
નાગરિકો ખોટી અફવાઓનો શિકાર ન બને અને સાચી માહિતી મેળવી શકે તે માટે સરકારે વિશેષ માર્ગદર્શન આપ્યું છે. કેન્દ્ર સરકારની કોઈપણ વાસ્તવિક જાહેર કલ્યાણકારી યોજનાઓ અને સહાય વિશે સચોટ માહિતી મેળવવા માટે નાગરિકોને માત્ર અધિકૃત સરકારી પોર્ટલ myscheme.gov.in ની મુલાકાત લેવા માટે વિનંતી કરવામાં આવી છે.