સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે. તેને આજે રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969માં સુધારો કરવાનો છે.
નવું વિધેયક વિલંબિત નોંધણીની જોગવાઈઓને વધુ કડક બનાવવા અને જન્મ તથા મૃત્યુની ઘટનાઓની સમયસર માહિતી આપવા પ્રોત્સાહિત કરવા લવાયું છે. વિધેયકમાં જોગવાઈ છે કે, જો કોઈ જન્મ કે મૃત્યુની માહિતી રજિસ્ટ્રારને તેના બનાવ સમયથી એક વર્ષથી વધુ પરંતુ બે વર્ષમાં અપાય છે તો જન્મ કે મૃત્યુની સત્યતાની ચકાસણી બાદ જ જિલ્લા મેજિસ્ટ્રેટ, ઉપ-વિભાગીય મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કાર્યકારી મેજિસ્ટ્રેટની મંજૂરીથી તેની નોંધણી કરવામાં આવી શકે છે. વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયે કહ્યું, વિલંબિત નોંધણીના સંભવિત દૂરુપયોગને ધ્યાને રાખી આ વિધેયક લવાયું છે. જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને બે વર્ષથી વધુ સમય પછી થાય તો તેની નોંધણી માત્ર પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર પણ કરી શકાશે. શ્રી રાયે કહ્યું, બે વર્ષથી વધુ સમયથી વિલંબિત નોંધણીની જોગવાઈ સિવાય આ પ્રણાલિ મહદઅંશે યથાવત્ રહેશે.