હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે સવારે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર અનુસાર, આ અકસ્માત સવારે ૭:૧૫ વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસ બૈરાગઢથી ચંબા જઈ રહી હતી. ચલુંજ વળાંક પાસે, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને બસ રસ્તા પરથી પલટી ખાઈને નીચે બીજા રસ્તા પર પડી ગઈ હતી.
ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પંડિત જવાહરલાલ નહેરુ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ખસેડવામાં આવ્યા હતા. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાં, પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા સાત લોકોની હજુ સુધી ઓળખ થઈ નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ચંબામાં થયેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ આ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.
Site Admin | ઓગસ્ટ 8, 2026 6:33 પી એમ(PM)
હિમાચલ પ્રદેશના ચંબામાં દર્દનાક અકસ્માત: બૈરાગઢથી ચંબા જતી બસ ખાડામાં ખાબકતા ૭ ના મરણ, ૧૧ ઇજાગ્રસ્ત