80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતો પ્રજાજોગ સંદેશ આપ્યો છે. આ સંદેશમાં તેમણે દેશની આઝાદીના શહીદોને નમન કરવાની સાથે ‘રાષ્ટ્રહિત પ્રથમ’નો ભાવ હૈયે રાખીને વિકસિત ભારત અર્થે ‘વિકસિત ગુજરાત’ના નિર્માણનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
સ્વાતંત્ર્ય વીરોને નમન અને ‘હર ઘર તિરંગા’થી પ્રબળ બનતું રાષ્ટ્રહિત
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંદેશમાં દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનારા તમામ વીર શહીદો તેમજ નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડનારા વીરોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને કૃતજ્ઞતાપૂર્વક બિરદાવ્યા હતા. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં જે રીતે ‘હર ઘર તિરંગા’ અભિયાન ઉજવાઈ રહ્યું છે, તેના થકી જન-જનમાં રાષ્ટ્રહિતની ભાવના વધુ પ્રબળ બની છે.
વર્ષ 2047 સુધીમાં રોજગારીમાં નારીશક્તિની 75 ટકા ભાગીદારીનો લક્ષ્યાંક
રાજ્યના વિકાસમાં મહિલાઓના સક્રિય યોગદાન પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેમ વ્યક્ત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2047 સુધીમાં રોજગારીના સર્જનમાં નારીશક્તિની ભાગીદારી વધારીને 75 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને વેગ આપશે.
આર્થિક પ્રગતિમાં ટેક્નોલોજી બનશે મુખ્ય પરિબળ, ગુજરાત અગ્રેસર
આધુનિક વિકાસના રોડમેપ અંગે વાત કરતા ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, આવનારા સમયમાં રાજ્યના વિકાસ અને અર્થતંત્રની પ્રગતિમાં ટેક્નોલોજી સૌથી મુખ્ય અને નિર્ણાયક પરિબળ બનવાની છે તે વાત નિશ્ચિત છે. તેમણે ગર્વ સાથે ઉમેર્યું હતું કે, ટેક્નોલોજી અને અન્ય ઉભરતા આધુનિક ક્ષેત્રોમાં ગુજરાત આજે દેશમાં એક મહત્વના ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે અને આગામી સમયમાં પણ આ દિશામાં મોખરે રહેશે.