અરવલ્લી જિલ્લાના મોડાસાના રહેવાસી ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોર મકવાણાએ આજે તેમના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી છે. થોડા સમય પહેલા સુરતની મેડિકલ કોલેજમાં યુવાન તબીબે જીવન ટૂંકાવ્યું હતું. આ ગંભીર મામલે પરિવાજનોને સાંત્વના પાઠવી આયોગ દ્વારા તટસ્થ તપાસ અને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી છે.
પરિવારના દુઃખમાં સહભાગી થયા કિશોર મકવાણા
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સુરતની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વતની ડો. હર્ષ પંડ્યાએ તાજેતરમાં રેગિંગના કારણે આપઘાત કરી લીધો હતો. એક આશાસ્પદ તબીબના મોતના આ ગંભીર અને દુઃખદ ઘટનાને પગલે આજે કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોર મકવાણા મોડાસા ખાતે દોડી આવ્યા હતા. તેમણે મૃતક યુવાન તબીબના શોકાતુર પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
આયોગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન અને ન્યાયની ખાતરી
મૃતકના પરિવાર સાથેની મુલાકાત દરમિયાન ચેરમેન કિશોર મકવાણાએ સ્પષ્ટ ખાતરી આપી હતી કે આ સમગ્ર કેસમાં ડો. હર્ષના પરિવારને ન્યાય અપાવવા માટે અનુસૂચિત આયોગ દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસની નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તે હેતુથી આયોગ દ્વારા સ્થાનિક જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સુરતના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સાથે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. મૃતક પરિવારને સત્વરે ન્યાય મળે તે માટે આયોગ સતત પ્રયત્નશીલ રહેશે.