બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ.આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભુવનેશ્વર ખાતે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નવી દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ ખાતે ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદસભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ પ્રેરણા સ્થળ ખાતે ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યયમથી મુંબઈમાં ચૈત્ય ભૂમિની તેમની મુલાકાતની એક તસવીર શેર કરીને, પ્રધાનમંત્રીશ્રી મોદીએ ડૉ. આંબેડકરને સામાજિક ન્યાયના દીવાદાંડી રૂપ ગણાવ્યા હતા.
બાબાસાહેબ આંબેડકર એક આદરણીય નેતા, ન્યાયશાસ્ત્રી, વિચારક, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક હતા, જેમણે પોતાનું જીવન સમાનતા અને જાતિ આધારિત ભેદભાવ નાબૂદ કરવા માટે સમર્પિત કર્યું હતું. બાબાસાહેબને 1990માં મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 6, 2024 2:03 પી એમ(PM) | ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકર
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનાં અગ્રણીઓએ આજે મહાપરિનિર્વાણ દિવસે ડોક્ટર બી આર આંબડેકરને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
