ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટ નો વધારો થયો છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે, ગયા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે લગભગ 35 ટકાનો વિકાસ થયો હતો. તેમણે કહ્યું, નવીનીકરણીય ઉર્જાના સંદર્ભમાં, સૌર ઉર્જાના ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે, જે લગભગ 38 ટકા વધીને લગભગ 21 ગીગાવોટ થઈ ગઈ છે.શ્રી જોશીએ જણાવ્યું કે, પરિવહન ક્ષેત્ર અને ઘરોને કાર્બન મુક્ત બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન ભારતની સૌર પીવી સેલ ઉત્પાદન ક્ષમતા પણ લગભગ ત્રણ ગણી વધીને 9 ગીગાવોટ થઈ ગઈ છે. શ્રી જોશીએ જણાવ્યું કે, પીએમ કુસુમ યોજનામાં પણ સારી પ્રગતિ થઈ છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થયા પછી, છેલ્લા નાણાકીય વર્ષમાં 1 લાખ 10 હજારથી વધુ પરિવારોને લાભ મળ્યો છે અને લગભગ સાત લાખ નોકરીઓનું સર્જન થયું છે.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની સોશિયલ મીડિયા સંદેશ પરની ટિપ્પણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં સિદ્ધિઓ વિકાસ તરફ એક મોટું પગલું છે.
Site Admin | એપ્રિલ 2, 2025 9:34 એ એમ (AM)
ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટનો વધારો થયો
