અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પહેલી ડિસેમ્બર થી 14 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા વિસ્તારોના એકમોમાં ખાદ્ય પદાર્થના નમુના લઈને તેના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મીઠાઈ, દૂધ, આઈસ્ક્રીમ, પાણીપુરીનું પાણી, મસાલા વગેરેના 228 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની ચકાસણી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઉપરોક્ત સમયગાળામાં એક હજાર 208 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 377 એકમોને નોટિસ ફટકારાઇ છે. જેમાં 673 કિલો અખાદ્ય પદાર્થ અને 622 લિટર અખાદ્ય પ્રવાહી પીણાનો નાશ કરાયો હતો. આ એકમો પાસેથી એક લાખ 21 હજાર રૂપિયાનો દંડ વસૂલાયો છે.
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ફૂડના નમૂનાઓ પૈકી પાંચ નમૂના ધરાધોરણ પ્રમાણે નીકળ્યા ન હતા. જેમાં જામ, બટર અને પનીર જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.