રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે. હરઘર તિરંગા” કાર્યક્રમ દરમિયાન નાગરિકોને રાષ્ટ્ર ભક્તિના કાર્યમાં સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાના હેતુથી દરેક વ્યક્તિ પોતાના ઘર, સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાનાં વિંછીયા ખાતે પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને “તિરંગા યાત્રા” યોજાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી શાળાઓમાં વેશભૂષા, ચિત્ર અને રંગોળી જેવી અનેકવિધ સ્પર્ધા યોજાઈ રહી છે. અભિયાનનાં પ્રથમ દિવસે જિલ્લાની ૯૧૧ જેટલી શાળાના ૩૨હજાર ૮૧૨ જેટલા વિદ્યાર્થીઓ તેમજ બીજા દિવસે ૯૦૨ જેટલી શાળાના ૨૯હજાર ૭૦૫ જેટલા વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.
ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલનાં અધ્યક્ષ સ્થાને “તિરંગા યાત્રા” યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાઓના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પોલીસના જવાનોએ બાઈક રેલીના માધ્યમથી તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા બેટ દ્વારકા તેમજ અજાડ બંને ટાપુ વિસ્તાર પર રહેતા લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે હેતુથી સમુદ્ર વચ્ચે ટાપુ પર જઈ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 10, 2024 7:36 પી એમ(PM)
રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે
