રાજ્યભરમાં આજે ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહેશે.
વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ, જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ તો મહેસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને દેવભૂમિ દ્વારકામાં મુળુભાઇ બેરા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન કરશે. અલગ અલગ જિલ્લાઓમાં યોજાનાર મેળાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કીટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ થશે. વર્ષ 2009માં શરૂ થયેલા આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂ, ડો. આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, યોજના વગેરેના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. સાણંદ APMC ખાતે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જે અંતર્ગત જિલ્લાના ૨૭૬૪ લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા ૭૩ કરોડ રૂપિયાથી વધુની સહાય તથા કિટનું વિતરણ કરાશે. અમરેલીમાં સવારે 9 કલાકે લીલીયા રોડ ખાતેના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અને રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે. જેમાં આશરે ૨,૩૦૦ લાભાર્થીઓને સવા ત્રણ કરોડ રૂપિયાથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:40 એ એમ (AM)