પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટાનગર– પટણા સહિતની છ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યૂઅલી લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી મોદી આજે સવારે રાંચી વિમાન મથકે પહોંચ્યા હતા, અને ત્યાંથી જમશેદપુર જવાના હતા. જોકે ખરાબ હવામાનને કારણે તેઓ આગળ જઈ શક્યા ન હોઈ ટ્રેનોનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ વંદે ભારત ટ્રેનસાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આધુનિક વિકાસ અને સુવિધાઓ માત્ર કેટલાક શહેરો પૂરતા સીમિત હતા. ઝારખંડ જેવા રાજ્યો આધુનિક સુવિધાઓથી વંચિત રહ્યા.
જોકે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રએ દેશની માનસિકતા અને પ્રાથમિકતાઓને બદલી છે. વધુમાં તેમણે કહ્યું કે હવે દેશની પ્રાથમિકતા ગરીબ, આદિવાસી સમુદાય, દલિત, વંચિત અને સમાજનો પછાત વર્ગ છે. હવે દેશની પ્રાથમિકતામાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો સામેલ છે.