રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ વર્ષ ૧૯૧૯માં આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરતા કહ્યું કે તેમના બલિદાનથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રવાહ મજબૂત બન્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ કહ્યું કે દેશ શહીદોના બલિદાનનું ઋણી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલિયાવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું છે કે આવનારી પેઢીઓ શહીદોના અદમ્ય ભાવનાને હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે જલિયાંવાલા બાગ આપણા દેશના ઇતિહાસનો એક કાળો અધ્યાય છે. તેમણે કહ્યું શહીદોનું બલિદાન ભારતના સ્વતંત્રતા સંગ્રામનો એક મહત્વપૂર્ણ પ્રકરણ છે.
ઉલ્લેખનીય છે કે આજના દિવસે વર્ષ 1919માં જલિયાવાલા બાગમાં બ્રિટિશ દમનકારી કાયદા ‘રોલેટ એક્ટ’ વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે યોજાયેલી સભામાં જનરલ ડાયરે નિઃશસ્ત્ર અને નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.આ અમાનવીય ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
Site Admin | એપ્રિલ 13, 2025 3:01 પી એમ(PM)
જલિયાવાલા બાગના શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી
