દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે શ્રી કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાને રાજીનામું આપ્યું હતું. હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીનું સુકાન સંભાળશે. આજે નવી દિલ્હીમાં મળેલી પક્ષનાં ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.
બેઠક બાદ રાજ્યના મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે, પક્ષની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણી યોજાય ત્યાં સુધી અતિશી મુખ્યમંત્રી તરીકે રહેશે. તેમણે કહ્યું કે AAP ઈચ્છે છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થાય. શ્રીરાયે ભાજપ પર આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.43 વર્ષીય આતિશી કાલકાજી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસમાં એમએની ડિગ્રી ધરાવતાં અતિશીએ પર્યાવરણ અને શિક્ષણનાં ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેઓ દિલ્હી સરકારમાં શિક્ષણ મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે જેલમાંથી મુક્ત થયા બાદ બે દિવસ પૂર્વે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી
ભારતીય જનતા પાર્ટીએ આતિશીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત પર ટીકા કરતાજણાવ્યું કે, માત્ર ચહેરો બદલવાથી પક્ષનું ચરિત્ર નહીં બદલાઈ.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 6:55 પી એમ(PM)
આગામી વિધાનસભા ચૂંટણી યોજાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળશે
